SIR Form Online: ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં હાલ મતદાર યાદીના ખાસ સઘન પુનરાવર્તન (SIR - Special Intensive Revision) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો તમે હજુ સુધી તમારી વિગતો અપડેટ નથી કરી, તો સાવધાન થઈ જજો કારણ કે આ પ્રક્રિયા પૂર્ણ થવાને હવે માત્ર 10 દિવસ બાકી છે.
મતદાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, તંત્ર દ્વારા આગામી તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મહત્વની તારીખો અને કાર્યક્રમ
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 4 ડિસેમ્બર, 2025
- ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થશે: 9 ડિસેમ્બર, 2025
- દાવા અને વાંધા સ્વીકારવાની છેલ્લી તારીખ: 8 જાન્યુઆરી, 2026
- અંતિમ મતદાર યાદીનું પ્રકાશન: 7 ફેબ્રુઆરી, 2026
- ઓનલાઇન સુવિધા: જે નાગરિકોનો મોબાઈલ નંબર તેમના વોટર આઈડી સાથે લિંક થયેલો છે, તેઓ ઘરે બેઠા ઓનલાઇન પણ ફોર્મ ભરી શકે છે.
SIR અંગે મતદારોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો અને તેના સરળ જવાબો:
પ્રશ્ન: SIR શા માટે કરવામાં આવી રહ્યું છે?
જવાબ: મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવા માટે. આ પ્રક્રિયા દ્વારા મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે.
પ્રશ્ન: શું દરેક મતદાર માટે આ પ્રક્રિયા ફરજિયાત છે?
જવાબ: હા, 1 નવેમ્બર, 2025 ના રોજ નોંધાયેલા તમામ મતદારોએ આ ફોર્મ ભરવું અને માહિતી આપવી ફરજિયાત છે.
પ્રશ્ન: મતદાર તરીકે મારે શું કરવાનું રહેશે?
જવાબ: તમારે તમારા BLO (બૂથ લેવલ ઓફિસર) પાસેથી ફોર્મ મેળવીને, તેમાં તમારી અને તમારા પરિવારની 2003 ની સ્થિતિ મુજબની માહિતી ભરીને જમા કરાવવાની રહેશે.
પ્રશ્ન: શું મારે BLO પાસે જવું પડશે?
જવાબ: ના, BLO તમારા ઘરે ફોર્મ આપવા અને પરત લેવા આવશે. તેઓ કુલ ત્રણ વખત તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે.
પ્રશ્ન: ફોર્મ ભરવા માટે કયા પુરાવા જોઈશે?
જવાબ: ફોર્મ સાથે કોઈ ઓળખપત્ર (ID Proof) જોડવાની જરૂર નથી, માત્ર સચોટ માહિતી ભરવાની રહેશે. જો તમારી પાસે 2003 નું જૂનું ચૂંટણી કાર્ડ હોય તો તે નામ શોધવામાં મદદરૂપ થશે.
પ્રશ્ન: હું 2003 ની યાદીમાં મારું નામ કેવી રીતે ચેક કરી શકું?
જવાબ: તમે voters.eci.gov.in વેબસાઈટ પર જઈને તમારું નામ શોધી શકો છો. જો તે યાદીમાં તમારું નામ ન હોય, તો તમારે તે સમયની તમારા માતા-પિતાની વિગતો આપવી પડશે.
પ્રશ્ન: હું હાલ બહારગામ (દા.ત. નોઈડા) નોકરી કરું છું, તો શું કરવું?
જવાબ: તમારા પરિવારના સભ્યો BLO પાસેથી ફોર્મ લઈને ભરી શકે છે અથવા તમે voters.eci.gov.in પર જઈને ઓનલાઇન પ્રોસેસ પણ કરી શકો છો.
પ્રશ્ન: જો સમયમર્યાદામાં ફોર્મ ન ભરીએ તો શું થાય?
જવાબ: જે મતદારો નિયત સમયમાં ફોર્મ નહીં ભરે, તેમને 'ગેરહાજર' (Absent) ગણવામાં આવશે.
અન્ય મહત્વની બાબતો:
- દરેક પરિવારના સભ્ય માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે.
- જો મતદાર યાદીમાં સુધારો કરવો હોય તો પાછળથી 'ફોર્મ 8' ભરવું પડશે.
- તમે ઇચ્છો તો ફોર્મ ભરતી વખતે નવો રંગીન ફોટો આપી શકો છો (વૈકલ્પિક).
