'મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી': TMCનું નામ અને સિમ્બોલ ફ્રીઝ થતાં રાહુલ ગાંધીના EC પર આકરા પ્રહારો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, “પહેલા શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે પેટર્ન સમાન જ રહે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 18 Sep 2026 12:29 PM (IST)Updated: Fri, 18 Sep 2026 12:29 PM (IST)
rahul-gandhi-slams-election-commission-tmc-name-symbol-frozen-bjp-allegations
રાહુલ ગાંધી

Rahul Gandhi: પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી વિધાનસભા પેટાચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ (EC) દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નામ અને તેના અધિકૃત ચૂંટણી ચિહ્ન 'જોડા ફૂલ' (ફૂલ અને ઘાસ) પર વચગાળાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આ આદેશ સામે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે અને ચૂંટણી પંચ તેમજ ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચેની સાંઠગાંઠ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

રાહુલ ગાંધીના EC અને ભાજપ પર સીધા આક્ષેપો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, “પહેલા શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે પેટર્ન સમાન જ રહે છે. ભાજપ અને ચૂંટણી પંચ હાથ મિલાવીને પક્ષમાં ભાગલા પાડે છે. ત્યારબાદ તે પક્ષનું ચૂંટણી ચિહ્ન પણ છીનવી લેવામાં આવે છે.” વિપક્ષી નેતાએ ઉમેર્યું હતું કે જ્યારે આખો પક્ષ જ ચોરી શકાય છે, ત્યારે કરોડો ભારતીયોના મત પણ ચોરાઈ જાય તો તેમાં કોઈ નવાઈ નથી.

લોકશાહીના પતન પર ચિંતા અને મમતા બેનર્જીને સમર્થન

ચૂંટણી પંચની બંધારણીય ભૂમિકા પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “ચોરાયેલા મત, ચોરાયેલી સરકાર અને હવે ચોરાયેલો પક્ષ - આ બધું આપણી લોકશાહીના પતનના પ્રતીકો બની ગયા છે. ચૂંટણી પંચની જવાબદારી જનાદેશનું રક્ષણ કરવાની છે, છતાં તે જનતાના ચુકાદાને ઉથલાવી દેનારી તાકાતોને મદદ કરી રહ્યું છે.” તેમણે આ લડાઈને માત્ર મમતા બેનર્જીની નહીં પરંતુ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છતા દરેક રાજકીય પક્ષ અને મતદારની લડાઈ ગણાવી હતી.

ચૂંટણી પંચનો વચગાળાનો આદેશ

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી અને અરુપ રોયના નેતૃત્વવાળા જૂથો વચ્ચેના આંતરિક વિભાજન અને વિવાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વચગાળાનો આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય મુજબ, અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી બંને જૂથોમાંથી કોઈ પણ જૂથ 'તૃણમૂલ કોંગ્રેસ' નામ કે મૂળ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. બંને જૂથોએ ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવનારા નવા નામ અને અસ્થાયી ચિહ્ન સાથે જ પેટાચૂંટણીમાં ઉતરવું પડશે.