PM Narendra Modi Family Tree: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17 સપ્ટેમ્બરના રોજ તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. નરેન્દ્ર મોદીએ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ 26 મે 2014થી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદીનું જીવન હંમેશાં ચર્ચામાં રહે છે, પરંતુ તેમનો પરિવાર હંમેશાં લાઇમલાઇટથી દૂર એક સામાન્ય જીવન જીવે છે. ચાલો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર વિશે અને તેમના ભાઈ-બહેન શું કરે છે.
પીએમ મોદીનો પરિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું. તેમને કુલ 6 પુત્રો હતા: દામોદરદાસ, નરસિંહદાસ, નરોત્તમભાઈ, જગજીવનદાસ, કાંતીલાલ અને જયંતીલાલ. પીએમ મોદીના પિતાનું નામ દામોદરદાસ મોદી હતું અને માતાનું નામ હીરાબેન હતું. પીએમ મોદીનો પરિવાર લાંબા સમય સુધી આર્થિક સંઘર્ષમાંથી પસાર થયો હતો. વડાપ્રધાન પણ અનેક વખત પોતાના પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેમના કાકા જયંતીલાલની પુત્રી લીનાબેનના પતિ પણ વિસનગરમાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા.
પીએમ મોદી 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે
દામોદરદાસ મોદી અને હીરાબેનને કુલ 6 સંતાનો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા નંબરે આવે છે.
- સોમાભાઈ મોદી (સૌથી મોટા ભાઈ)
- અમૃતભાઈ મોદી
- નરેન્દ્ર મોદી
- પ્રહ્લાદ મોદી
- વસંતીબેન (એકમાત્ર બહેન)
- પંકજભાઈ મોદી (સૌથી નાના ભાઈ)
પીએમ મોદીના ભાઈ-બહેન શું કરે છે?
સોમાભાઈ મોદી (મોટા ભાઈ)
તેઓ પીએમ મોદીના સૌથી મોટા ભાઈ છે. તેઓ અગાઉ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. અત્યારે તેઓ અમદાવાદમાં એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. તેઓ માને છે કે તેમની અને પીએમ વચ્ચે એક પડદો છે; તેઓ માત્ર નરેન્દ્ર મોદીના ભાઈ છે, વડાપ્રધાનના નહીં.
અમૃતભાઈ મોદી
બીજા મોટા ભાઈ અમૃતભાઈ એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે કામ કરીને નિવૃત્ત થયા છે. 17 વર્ષ પહેલાં તેમનો પગાર માત્ર 10,000 રૂપિયા હતો. આજે પણ તેઓ અમદાવાદમાં 4 રૂમના મકાનમાં સામાન્ય જીવન જીવે છે. તેમનો 47 વર્ષનો પુત્ર સંજય લેથ મશીન ચલાવવાનો નાનો વ્યવસાય કરે છે. પરિવારે 2009માં એક કાર લીધી હતી જેનો ઉપયોગ માત્ર ખાસ પ્રસંગોએ જ થાય છે.
નરેન્દ્ર મોદી
5 ભાઈ અને 1 બહેનમાં ત્રીજા ક્રમે આવતા નરેન્દ્ર મોદી અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રચારક હતા. 12 વર્ષ ગુજરાતના સીએમ રહ્યા બાદ 2014માં દેશના વડાપ્રધાન બન્યા.
પ્રહ્લાદ મોદી
તેઓ પીએમ મોદી કરતાં 2 વર્ષ નાના છે. અમદાવાદમાં તેઓ કરિયાણાની દુકાન અને ટાયરનો શોરૂમ ધરાવે છે. આ સાથે તેઓ 'ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન'ના ઉપાધ્યક્ષ પણ છે.
વસંતીબેન
પીએમ મોદીના એકમાત્ર બહેન વસંતીબેન ગૃહિણી છે. તેમના પતિ હસમુખલાલ ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત છે.
પંકજભાઈ મોદી
સૌથી નાના ભાઈ પંકજભાઈ ગાંધીનગરમાં રહે છે અને ગુજરાત સરકારના માહિતી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પીએમ મોદીના માતા હીરાબેન અંતિમ સમય સુધી પંકજભાઈ સાથે જ રહેતા હતા.
