Indian Railway Fare Hike: ભારતીય રેલવેએ દેશભરના કરોડો મુસાફરોને અસર કરતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 26 ડિસેમ્બર 2025 થી નવું ભાડું માળખું લાગુ કરવાની જાહેરાત કરી છે. રેલવે દ્વારા ટ્રેન ભાડામાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે રેલ મુસાફરી મોંઘી બનશે. જોકે આ ફેરફારમાં ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે.
215 કિલોમીટર સુધીની મુસાફરી પર કોઈ વધારો નહીં
રેલવેના જણાવ્યા અનુસાર સામાન્ય શ્રેણીમાં 215 કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે નહીં. આ નિર્ણય ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો અને ટૂંકા અંતરના મુસાફરોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તેમના ખિસ્સા પર વધારાનો બોજ ન પડે.
લાંબા અંતરની મુસાફરી માટે નવા દર
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે 215 કિલોમીટરથી વધુની મુસાફરી માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સાધારણ શ્રેણીમાં 1 પૈસો પ્રતિ કિલોમીટર જ્યારે મેઇલ/એક્સપ્રેસ અને એસી શ્રેણીઓમાં 2 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો થશે. ઉદાહરણ તરીકે પટનાથી દિલ્હી (આશરે 1000 કિમી) ની મુસાફરી માટે જનસાધારણ એક્સપ્રેસ (નોન-એસી) માં 10 રૂપિયા અને વંદે ભારત કે રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોમાં 20 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
રેલવેને વધારાની આવક
આ ભાડા સુધારણા દ્વારા રેલવેને આશરે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાનો અંદાજ છે. રેલવેના જણાવ્યા મુજબ, આ રકમનો ઉપયોગ મુસાફરોની સુવિધાઓ સુધારવા જેમ કે સ્ટેશનની સુવિધાઓ, કોચની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનલ કોસ્ટને પહોંચી વળવા માટે કરવામાં આવશે.
