પ્રયાગરાજમાં 20 વર્ષ જૂના પાર્ક પર ગેરકાયદે કબજાના કેસમાં આઝમ ખાનનું નામ ખુલ્યું: સીએમ યોગીના આદેશ બાદ SITની રચના

ડીએમ મનીષ કુમાર વર્માના જણાવ્યા અનુસાર, સદર તહસીલ અને નગર નિગમ પાસેથી આ જમીનને લગતા જૂના મહેસૂલી અને માલિકી હક્કના તમામ દસ્તાવેજો મંગાવીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 10 Aug 2026 03:21 PM (IST)Updated: Mon, 10 Aug 2026 03:21 PM (IST)
azam-khan-named-in-20-year-old-prayagraj-park-encroachment-case-cm-yogi-orders-sit-probe
આઝમ ખાન અતિક્રમણ કેસ પ્રયાગરાજ

Azam Khan Encroachment Case Prayagraj: પ્રયાગરાજના દરિયાબાદ વિસ્તારમાં આવેલા એક જાહેર પાર્કની જમીન અને તેની સાથે જોડાયેલા 20 ફૂટ પહોળા સરકારી રસ્તા પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવાના 20 વર્ષ જૂના મામલાએ ફરી જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક આદેશ બાદ હવે આ સમગ્ર કૌભાંડની તપાસ માટે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રયાગરાજના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ આ મામલે એડીએમ સિટી સત્યમ કુમાર મિશ્ર, પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ (PDA) ના સચિવ વિનીત કુમાર સિંહ અને ડીસીપી સિટી મનીષ શાંડિલ્યાની આગેવાનીમાં એક વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.

જાહેર રજાઓનો ગેરલાભ ઉઠાવીને કરાયું હતું દબાણ

આ વિવાદિત મામલો વર્ષ 2006 નો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર શાસનમાં હતી અને આઝમ ખાન નગર વિકાસ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળતા હતા. ઓગસ્ટ મહિનામાં 14, 15 અને 18 તારીખે સતત 3 દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને કુખ્યાત માફિયા અતીક અહેમદના નજીકના સાથીઓએ આ પાર્કની સરકારી જમીન પચાવી પાડવા માટે બાંધકામ શરૂ કર્યું હતું. તે સમયે સ્થાનિક રહીશોએ આ ગેરકાયદે પ્રવૃત્તિનો ભારે વિરોધ કર્યો હતો અને જવાબદાર અધિકારીઓ સમક્ષ ફરિયાદો પણ કરી હતી. પરંતુ, તત્કાલીન નગર વિકાસ મંત્રી આઝમ ખાને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સ્થાનિક અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરતા અટકાવી દીધા હતા.

જેલમાં બંધ આઝમ ખાનના નજીકના લોકો સંડોવાયેલા હોવાનો આક્ષેપ

હાલમાં વિવિધ ગુનાહિત કેસોમાં જેલની સજા કાપી રહેલા આઝમ ખાનના નજીકના લોકો જ આ જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આઝમ ખાન જ્યારે પણ પ્રયાગરાજની મુલાકાતે આવતા ત્યારે આ કબ્જો કરનારા લોકોના ઘરે અચૂક રોકાતા હતા. અંદાજે 4 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ કિંમતી સરકારી જમીન પર માત્ર 3 દિવસમાં રાતોરાત ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેવામાં આવ્યો હતો.

મેયરની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ લીધા આકરા પગલાં

તાજેતરમાં પ્રયાગરાજના મેયર ગણેશ કેશરવાણીની આગેવાનીમાં સ્થાનિક નાગરિકોનું એક પ્રતિનિધિ મંડળ લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રૂબરૂ મળ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે જે પાર્કમાં બાળકો રમતા હતા અને વડીલો સવાર-સાંજ ફરવા માટે જતા હતા તે જગ્યાને આ ભૂમાફિયાઓથી મુક્ત કરાવવામાં આવે. મુખ્યમંત્રીએ આ બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવાનો નિર્ણય કર્યો હતો.

ડીએમ મનીષ કુમાર વર્માના જણાવ્યા અનુસાર, સદર તહસીલ અને નગર નિગમ પાસેથી આ જમીનને લગતા જૂના મહેસૂલી અને માલિકી હક્કના તમામ દસ્તાવેજો મંગાવીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. આ એસઆઈટીના વિગતવાર અહેવાલના આધારે આગામી દિવસોમાં પાર્કની કરોડોની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવા માટે બુલડોઝરની મોટી કાર્યવાહી કરવામાં આવશે.