Surendranagar News: કડદા પ્રથા અને ખેડૂતો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને અન્ય કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની માહિતી અપાઈ
આ કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો, યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો હતો. AAP દ્વારા આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવી હતી. આ આંદોલનને ગુજરાતના દરેક ખૂણે ખૂણે લઈ જવામાં આવશે. આ આંદોલનને ચાર તબક્કામાં આગળ વધારવામાં આવશે, જેમાં 9 નવેમ્બરથી સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને કચ્છ ઝોનમાં ખેડૂત મહાપંચાયતો યોજાશે. સાથે જ, દરેક ગામમાં ન્યાય પંચાયત અને હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવશે. અંતે, 16 ડિસેમ્બરે રાજ્યભરના ખેડૂતોના માંગણી પત્રો એકત્ર કરીને મુખ્યમંત્રીને સોંપવામાં આવશે.

જેલમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયત્નો કરાશેઃ અરવિંદ કેજરીવાલ
મહાપંચાયતમાં બોલતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજથી દોઢસો વર્ષ પહેલાં ગુજરાતની પવિત્ર ભૂમિ પર સરદાર પટેલનો જન્મ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતો માટે અંગ્રેજો સામે લડ્યા હતા. અંગ્રેજોએ પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો ન હતો કે ખોટી FIR કરી જેલમાં મોકલ્યા ન હતા. સરદાર પટેલે કલ્પના પણ નહીં કરી હોય કે આઝાદીના 75 વર્ષ બાદ ગુજરાતમાં આટલી ક્રૂર સરકાર આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે 85 ખેડૂતોને જેલમાં ધકેલી દેવાયા છે, જે ખેડૂતો પોતાના હક્ક માટે લડી રહ્યા હતા. કેજરીવાલે ખેડૂતોને ખાતરી આપી હતી કે AAP તેમની સાથે છે અને તેમને જેલમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયત્નો કરશે. કેજરીવાલે કડદા પ્રથાને બંધ કરવાની માંગ કરી હતી.
ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથીઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં ખેડૂતોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે, માવઠાથી નુકસાન પામેલા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. તેમણે પંજાબમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા વળતર આપવાની વાત કરી હતી અને ગુજરાતના ખેડૂતોને પણ એટલું જ વળતર આપવાની માંગ કરી હતી.

AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા, જ્યારે ભાજપ ઉદ્યોગપતિઓની પાર્ટી બની ગઈ છે. તેમણે ખેડૂતો માટે લડતા જેલમાં ગયેલા નેતાઓ અને કાર્યકર્તાઓને સલામ કરી હતી. તેમણે ખેડૂતો વતી કેટલીક માંગણીઓ પણ સરકાર સમક્ષ રજૂ કરી હતી, જેમાં કડદા પ્રથા બંધ કરવી, MSP પર પાકની ખરીદી કરવી અને ખેડૂતોને મફત વીજળી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે આપણે તમામ લોકો ખેડૂતોના પ્રશ્નો પર ચિંતન કરવા અને ખેડૂતોના પ્રશ્નોને વિધાનસભા સુધી લઈ જવા માટે એકઠા થયા છીએ. ખેડૂતો માટે લડતા લડતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરીયા સહિત અનેક લોકો જેલમાં ગયા છે, તે તમામ લોકોને આપણે આજે યાદ કરી રહ્યા છીએ અને તેમને સલામ પણ કરીએ છીએ.
ગુજરાતના ખેડૂતો વારંવાર આંદોલન કરવા માટે મજબૂર બને છે. ક્યારેક ટેકાના ભાવ માટે, ક્યારેક ડેરીઓમાં ભાવ ફેર માટે, ક્યારેક મંડીઓમાં થતી કટકી સામે આ રીતે અનેકવાર ખેડૂતો પોતાની માંગો લઈને જાય છે, ત્યારે ખેડૂતોના અવાજને દબાવાની કોશિશ કરવામાં આવે છે. આજે ખાલી કપાસ પકાવતા ખેડૂતો દુઃખી નથી, મીઠું પકવતા, મગફળી પકવતા, શેરડીના ખેડૂતો, તમાકુ પકવતા ખેડૂતો, બટાકા ઉગાડતા ખેડૂતો, આ રીતે તમામ ખેડૂતો સાથે કોઈને કોઈ રીતે કડદો થઈ રહ્યો છે. આ કડદો કરવાવાળા લોકોને હટાવવા માટે આજે અરવિંદ કેજરીવાલ આપણી વચ્ચે પધાર્યા છે.
