Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં દિવાળીના વેકેશન દરમ્યાન ડોક્ટરના બંગલામાં ચોરીની ઘટના બની હતી. ડોક્ટર દિવાળી વેકેશન દરમ્યાન ફરવા ગયા હતા તે દરમ્યાન તેમના મોબાઈલમાં સીસીટીવી કેમેરા એલર્ટ મેસેજ મળ્યો હતો અને ચોરી અંગે જાણ થઇ હતી. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ડોક્ટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, દરમ્યાન આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતના અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન પાસે ડો. રાજેશ ત્રિવેદી પરિવાર સાથે રહે છે. ગત 25-10-205 ના રોજ તેમના બંગલામાં ચોરીની ઘટના બની હતી. ડોક્ટર દિવાળી વેકેશન દરમ્યાન બહાર ફરવા ગયા હતા તે દરમ્યાન તેમના મોબાઈલમાં સીસીટીવી કેમેરા એલર્ટ મેસેજ મળ્યો હતો.
તેના આધારે જાણ થઇ હતી કે બે અજાણ્યા ઈસમો ઘરમાં ચોરી કરી રહ્યા છે. બનાવ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્યાં પહોચે ત્યાં સુધીમાં તસ્કરો 30 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે ડોક્ટર દ્વારા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો
આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ બનાવમાં અમરોલી પાલનપુર ઊગત કેનાલ રોડ ઉપરથી આરોપી ભોપીન્દ્ર પ્રેમસિંગ સારકી (ઉ.21) રોશન હરેશભાઈ સારકી (ઉ.22) અને સૌરભ રમેશભાઈ કનોજીયા [ઉ.27] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 40 હજારની કિમંતના 3 મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત25-10-2025 ના રોજ રાત્રીના સમયે પકડાયેલા ત્રણેય આરોપીઓ તેના ત્રણ નેપાલી સહ આરોપીઓની મદદથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે પૈકી બે નેપાલી ડોક્ટરના બંગલામાં ચોરી કરવા માટે ઘુસ્યા હતા અને પકડાયેલા આરોપીઓ બંગલાની આજુબાજુમાં બહારની સાઈડે રોડ ઉપર નજર રાખવા વોચ કરતા હતા.
