Rajkot News:ગોંડલના ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત રેલ્વે ક્લાર્ક તરીકે જીવન ગાળતા 67 વર્ષીય અતુલકુમાર જમનાદાસ બોસમીયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ગઠીયાએ બેંક કર્મચારી બનીને તેમની સાથે રૂપિયા 3,58,050 ની ઓનલાઇન ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ, નિવૃત્ત રેલ્વે ક્લાર્ક તરીકે જીવન ગાળતા 67 વર્ષીય અતુલકુમાર જમનાદાસ બોસમીયાને અજાણ્યા આરોપીએ પોતાના મોબાઈલ નંબર પરથી ફોન કર્યો હતો. ફોન કરનારે પોતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ બેંકમાં ખાસ ઓફર ચાલી રહી હોવાનું જણાવી અતુલકુમારને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ બેંકની ‘યોનો’ એપ ઇન્સ્ટોલ કરાવવાના બહાને અન્ય એક મોબાઈલ નંબર પરથી અતુલકુમારના વોટ્સએપ પર એસબીઆઈના લોગો વાળી એક શંકાસ્પદ એ.પી.કે. ફાઈલ મોકલી હતી.
અતુલકુમારે આ ફાઈલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરતા જ સાયબર ઠગોએ તેમની પાસેથી ATM કાર્ડના છેલ્લા છ આંકડા, એ.ટી.એમ.નો પીન નંબર તેમજ મોબાઈલમાં આવેલા OTP નંબર મેળવી લીધા હતા. ત્યારબાદ અતુલકુમારની જાણ બહાર તેમના જઇઈં બેંક એકાઉન્ટ માં રૂપિયા 7,10,000 ની પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમમાંથી આરોપીઓએ અલગ-અલગ નાના-મોટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા 3,58,050 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.
નિવૃત્ત રેલ્વે ક્લાર્ક તરીકે જીવન ગાળતા 67 વર્ષીય અતુલકુમાર જમનાદાસ બોસમીયાને સાયબર ગેંગે શિકાર બનાવી ઇલેક્ટ્રોનિક માધ્યમથી સાયબર ફ્રોડની રકમ હોવાનું જાણવા છતાં પોતાના ખાતામાં નાણાં જમા કરાવી, ઠગાઈ આચરી આર્થિક લાભ મેળવવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે આઈ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ઘટનાના આધારે અજાણ્યા સાયબર ક્રાઈમ આચરનારા શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
