Rajkot News: મનપાના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર અને પત્નીનો સજોડે આપઘાત; વૃદ્ધ દંપતીના મોતથી અરેરાટી

70 વર્ષની વયે જ્યારે દંપતી એકબીજાનો સહારો બનીને શાંતિપૂર્ણ જીવન જીવતા હોય છે, ત્યારે આ પ્રકારે સજોડે આપઘાત કરવાના સમાચારથી પાડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 21 Dec 2025 03:16 PM (IST)Updated: Sun 21 Dec 2025 03:16 PM (IST)
retired-municipal-corporation-deputy-engineer-and-his-wife-commit-suicide-together-in-rajkot-659404

Rajkot News: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં રવિવારે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર અને તેમના પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 70 વર્ષીય વૃદ્ધ દંપતીના આ આત્યંતિક પગલાને પગલે પરિવાર અને નિવૃત્ત કર્મચારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

એકસાથે જીવનનો અંત આણ્યો

મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલા નિવાસસ્થાને રહીને નિવૃત્ત જીવન ગાળતા રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉ.વ. 70) અને તેમના પત્ની પન્નાબેન લખતરીયા (ઉ.વ. 70) એ ગત રાત્રે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સવારે જ્યારે પરિવારના સભ્યોને આ અંગે જાણ થઈ ત્યારે બંને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાય તે પહેલા જ બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

આત્મહત્યાનું કારણ અકબંધ

બનાવની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાજેન્દ્રભાઈ રાજકોટ મનપામાં ડેપ્યુટી ઈજનેર જેવી જવાબદાર પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા અને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા. આર્થિક તંગી, લાંબી બીમારી કે પછી કોઈ પારિવારિક વિખવાદ? કયા કારણોસર આટલા ભણેલા-ગણેલા અને સ્થિર પરિસ્થિતિ ધરાવતા દંપતીએ મોતને વહાલું કર્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

પરિવારમાં માતમ અને વિસ્તારમાં શોક

70 વર્ષની વયે જ્યારે દંપતી એકબીજાનો સહારો બનીને શાંતિપૂર્ણ જીવન જીવતા હોય છે, ત્યારે આ પ્રકારે સજોડે આપઘાત કરવાના સમાચારથી પાડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો જ કેસ જણાય છે, પરંતુ સચોટ કારણ જાણવા માટે તેમના મોબાઈલ ફોન રેકોર્ડ્સ અને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટમાં એક સાથે બે વયોવૃદ્ધ વ્યક્તિઓના મોતથી સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચાઓ જાગી છે.