CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવ્યો, જુઓ આ તસવીરો

અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 01 Nov 2025 10:21 PM (IST)Updated: Sat 01 Nov 2025 10:21 PM (IST)
chief-minister-bhupendra-patel-inaugurates-bharat-parv-2025-in-ektanagar-630798

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગર ખાતે ભારત પર્વ-2025નો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી પી.સી.બરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો મંત્ર 'રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક,ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક' ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે. “અનેકતામાં એકતા, એ જ આપણી વિશેષતા”નો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલિનિકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે,આપણે સૌ સદભાગી છીએ કે, આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે એક એવું નેતૃત્વ મળ્યું છે જેણે ‘સ્વ’નો નહીં સમસ્તનો - રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતિ માત્ર પરંપરાગત બિબાઢાળ સરકારી કાર્યક્રમ બની ગઈ હતી, પરંતુ આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે, જે કોઈને ના સૂઝે તે તેમને સૂઝે છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરદાર સાહેબની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા 2014થી મોદીએ દેશવાસીઓને આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે. એ જ વ્યવસ્થાઓ, એ જ તંત્ર છતાં જો આગવું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે એસ.ઓ.યુ. અને એકતાનગરના નિર્માણથી પુરવાર કર્યું હોવાનું જણાવ્યું હતું.

ભારત પર્વ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પર્વમાં દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.

આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે. અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે એક ભારત-શ્રેષ્ઠ ભારત જેમ જ અનેકતામાં એકતાની ભાવના આપણા ઉત્સવો-તહેવારોમાં પણ સાકાર થાય છે. ગુજરાતના નવરાત્રી – ગરબા, મહારાષ્ટ્રનો ગણપતિ ઉત્સવ, બિહારીઓની છઠ પૂજા કે પશ્ચિમ બંગાળની દૂર્ગા પૂજા ઉત્સવ આ બધા જ ઉત્સવો દેશમાં જ્યા જ્યાં આ રાજ્યોના મૂળ વતની પરિવારો રોજીરોટી માટે આવીને વસ્યાં છે ત્યાં સૌ સાથે મળીને ઉજવે છે.

તેમણે ઉમેર્યુ કે,નરેન્દ્રની પ્રેરણાથી માધવપૂરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો છે. આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે. તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ, કાશી તમીલ સંગમની ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે. તેને આ ભારત પર્વ ઉજાગર કરે છે.

એટલું જ નહીં દેશના રાજ્યોના રાજભવનોમાં પણ જુદા જુદા રાજ્યોના સ્થાપના દિવસની લોકોના સંગે ઉજવણીથી એક ભારત - શ્રેષ્ઠ ભારતની ભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરાવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે આ ભારત પર્વ દ્વારા 15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃ જીવિત થવાની છે. વિકાસ ભી, વિરાસત ભીની વડાપ્રધાનની સંકલ્પના સાચા અર્થમાં પાર પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાની સાથે સાથે અનેક પ્રવાસન આકર્ષણ આયામો જોડ્યાં હોવાનું જણાવ્યું હતું.