Junagadh Bharati Ashram: જૂનાગઢના લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતીબાપુને શોધવા ગિરનાર જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાશે

ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતીબાપુ હજુયે જંગલમાં હોવાની આશંકાએ તેમની શોધખોળ માટે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ કમર કસી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 05 Nov 2025 09:08 AM (IST)Updated: Wed, 05 Nov 2025 09:08 AM (IST)
junagadh-bharti-bapu-news-girnar-forest-search-to-trace-laghumahant-mahadev-bharti-bapu

Junagadh Bharati Ashram News: રવિવારે સવારથી ગાયબ થયેલા બાપુ ત્રણ દિવસ બાદ પણ ન મળતા આખરે આજે પોલીસ-ફોરેસ્ટના 400 ના સ્ટાફના કાફલા દ્વારા ડોન ઉડાડીને ગિરનાર જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે.

સીસીટીવીમાં કોઇ ભાળ મળી નથી

DySP ધાંધલીયાએ જણાવ્યું કે, લઘુમહંત મહા મંડલેશ્વર મહાદેવ ભારતી બાપુને શોધવા માટે પ્રથમ બે દિવસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને તેમના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરવામાં આવી અને સાથે ગઈકાલે સાંજે ડોગ સ્કવોર્ડની મદદ પણ લેવાઇ હતી, છતાં બાપુની કોઈ ભાળ મળી ન નહી. અત્યાર સુધીના જોવાયેલા સીસીટીવીમાં બાપુ ભવનાથમાંથી બહાર નીકળતા હોય તેવા એક પણ ફૂટેજ સામે આવેલ નથી.

જંગલમાં હોવાની આશંકાઓ

જેથી બાપુ જંગલ વિસ્તારમાં જ હોવાની દૃઢ આશંકાઓ સેવાઈ રહી છે, જેને લઈને આજે સવારથી પોલીસની પાંચ ટીમો બનાવીને ગિરનાર ક્ષેત્રમાં આવેલા વિવિધ આશ્રમો, જટાશંકર, શેષાવન, ગૌમુખી ગંગા, વેલનાથની જગ્યા, કાશ્મીરી બાપુના આશ્રમ સહિતની જગ્યાઓ ઉપર પાંચ ટીમોએ વેરીફીકેશન કામગીરી કરીને દરેક પુજારી, સાધુના ફોટોગ્રાફ્સ સાથે વેરીફીકેશન કરવામાં આવ્યું અને વિગતો એકત્ર કરવામાં આવી છે. વધુ તપાસ માટે આજે સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જંગલમાં શોધખોળ હાથ ધરાશે

આજે સવારથી પોલીસની 300 જેટલી પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટનો 100 જેટલો સ્ટાફ મળીને અંદાજે 400 ના કાફલા, ડ્રોન ઉડાડીને સમગ્ર ગિરનાર જંગલ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરવામાં આવશે. સ્ટાફ દ્વારા પગપાળા ચાલીને આખાયે જંગલ વિસ્તારના ખુંદી નાખવામાં આવશે. સાથે ટેકનિકલ અને સર્વેલન્સ ટીમ દ્વારા મોબાઇલ ટાવરના લોકેશન સર્ચ કરવામાં આવી રહ્યા છે.

આજે લઘુમહંતને શોધવા માટે પોલીસ-ફોરેસ્ટની ટીમ પગપાળા સર્ચ ઓપરેશન કરશે, પરંતુ તે કઠીન સાબિત થઈ શકે તેમ છે. કારણ કે, ગિરનારનો વિસ્તાર 18,254 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે, જે વિસ્તારમાં 100 થી વધુ સિંહ-દીપડાઓ વસવાટ કરે છે. સાથે અન્ય જંગલી પ્રાણીઓ પણ વસે છે, તેવા ગાઢ જંગલમાં કાલે સર્ચ ઓપરેશન કરવું કઠિન સાબિત થશે.

લાપતા થયાના 24 કલાક પછી સોમવારે વહેલી સવારે 3.30 કલાકે મહાદેવ ભારતી બાપુએ આશ્રમના એક ટ્રસ્ટીને ફોન કરીને પોતે જટાશંકર હોવાની જાણ કરીને તેઓ પરત આશ્રમ આવવા માંગે છે, અને તેઓએ 24 કલાકથી કંઈ ખાધું નથી તેવી વાતચીત કરી હતી. તેણે પણ કલાકો વીતી ગયા છે, બાદમાં ત્યારથી બાપુનો ફોન ફરીવાર એક્ટિવેટ થયો નથી.

ડ્રોનની મદદ લેવામાં આવશે

આજે ગિરનાર જંગલ વિસ્તારમાં પોલીસ અને ફોરેસ્ટના 400 નો કાફલો પગપાળા સર્ચ ઓપરેશન કરવાનો છે, જેમાં અમુક અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ન શકાય તેવા વિસ્તારમાં ડ્રોન મારફતે પણ સર્ચ કરવાનો વિચાર છે. સાથે અમુક સ્થળે ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવાઈ શકે છે.