રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 'વન કવચ' થીમ પર અંબાજી ખાતે રાજય કક્ષાના પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બાબતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના 8 જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.
અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.