Gandhinagar: રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે, ગુજરાત રાજ્યમાં આવતીકાલે એટલે કે શુક્રવાર, 7 નવેમ્બર, 2025ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્યની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારે કેટલાક મહત્વના ફેરફારો જાહેર કર્યા છે.
જે અંતર્ગત સરકારે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કર્યા છે. રાજ્યની તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.7 નવેમ્બર, 2025 માત્ર એક દિવસ માટે સરકારી કચેરીનો સમય સવારના 9:30 વાગ્યાથી સાંજના 5:10 વાગ્યા સુધી રહેશે. સામાન્ય દિવસોમાં સરકારી કચેરીનો સમય સવારે 10:30 વાગ્યાથી સાંજે 6:10 વાગ્યા સુધી હોય છે.
આ ફેરફાર સવારે 9:30 વાગ્યે તમામ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 'વંદે માતરમ'નું સામૂહિક ગાન અને સ્વદેશીની શપથ લેવાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કરાયો છે.
ગાંધીનગરમાં યોજાશે મુખ્ય કાર્યક્રમ
વિગતો મુજબ આ સંદર્ભે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે દેશપ્રેમ, એકતા અને સ્વાભિમાનના સંદેશ સાથે સંગીતમય કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતોનું પણ આયોજન થવાનું છે.
રાજ્યભરના તમામ જિલ્લામથકો પર પણ આ દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં શાળાઓ, કોલેજો અને સરકારી વિભાગો સહભાગી બનશે. આ પ્રસંગ રાજ્યના નાગરિકોને રાષ્ટ્રગૌરવની ભાવના સાથે જોડવાનો અનોખો પ્રયાસ છે.
મેટ્રો ટ્રેનના સમયપત્રકમાં પણ આંશિક ફેરફાર
ગાંધીનગર સ્થિત વિધાનસભા સંકુલ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ગાંધીનગર-અમદાવાદ મેટ્રો કોરિડોરના સમયમાં આંશિક ફેરફાર કરાયો છે.

મુસાફરોને મેટ્રો દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સમયપત્રકની તપાસ કરીને જ પ્રવાસનું આયોજન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. અન્ય મેટ્રો રૂટ સામાન્ય સમય મુજબ જ કાર્યરત રહેશે.
| કોરિડોર | નિયમિત સમયપત્રક | 7 નવેમ્બરનો નવો સમય | વિશેષ નોંધ |
| સેક્રેટરીએટ (ગાંધીનગર) તરફ | નિયમિત ટ્રેનો | APMC થી સવારે 7:55 વાગ્યે ઉપડતી વધારાની ટ્રેન | આ ટ્રેન સવારે 9:15 વાગ્યે સેક્રેટરીએટ પહોંચશે. |
| અમદાવાદ તરફ | નિયમિત ટ્રેનો | સેક્રેટરીએટથી સવારે 9:24 વાગ્યે એક ટ્રેન ઉપડશે. | આ ટ્રેન માત્ર ઇન્ફોસિટી સુધી જ જશે. મુસાફરો માટે ત્યાંથી આગળ બસ વ્યવસ્થા રહેશે. |
