Morari Bapu: ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું ડૂબી જતાં મોત નિપજયા છે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,05,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે.પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
ઉમરાળાથી ધોળા વચ્ચે ખાનગી ટ્રાવેલ્સે બાઈકમાં સવાર બે યુવકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં બે યુવકોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતા.મહુવા-રાજુલા હાઈ-વે પર ગુજરડા ગામના પાટિયા પાસે એસટી બસ સાથે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું મોત નિપજ્યું છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવડી નદીમાં નાહવા પડેલા 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબી ગયા હતા.
તેમ જ મહુવા તાલુકાના ગુજરડાગામે રહેતા ભરતભાઈ વશરામભાઈ બાલધિયા ગત મોડી રાત્રે પોતાની રીક્ષાથી મહુવા તરફ જઈ રહ્યાં હતા ત્યારે મહુવા-રાજુલા હાઈ-વે ગુજરડા (અગતરીયા) ગામના પાટિયા પાસે પહોંચતા વેરાવળ-ભાવનગર રૂટની એસટી બસના ચાલકે તેમની રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
