Anand News: આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે શહેરના જાણીતા લોટેશ્વર તળાવ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા સંચાલિત કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને જાહેર સ્થળોની જાળવણીની સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરવાનો હતો.
લોટેશ્વર તળાવના નવીનીકરણ અને જાળવણી અંગે ઉપસ્થિત મહાનગરપાલિકાની ટીમને જિલ્લા કલેક્ટરે સૂચના આપતા જણાવ્યું હતું કે,લોટેશ્વર તળાવની આસપાસના વિસ્તારમાં જરૂરી સાફ-સફાઈ રાખવા જણાવ્યું હતું. નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે તળાવના ફૂટપાથ પર પુરતું લાઈટિંગ લગાવવા માટે પણ જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગમાં આવેલા વરિષ્ઠ નાગરિકો અને રમી રહેલા બાળકો સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી હતી. તેમણે બાગની જાળવણી, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા અંગે લોકોના પ્રતિભાવો મેળવ્યા હતા. મનપાના વહીવટદાર પ્રવીણ ચૌધરીએ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઓમકારેશ્વર બાગ ખાતે કરવામાં આવેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પીવાના પાણીની સુવિધાના નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે એક સક્રિય વહીવટદાર તરીકે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે બાગમાં સ્થાપિત વોટર એટીએમ (Water ATM) માંથી જાતે પાણી પીને તેની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે નાગરિકોને મળતું પીવાનું પાણી હંમેશા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

મનપાના વહીવટદાર અને કલેક્ટરની આ મુલાકાત સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
