PM Narendra Modi 76th Birthday: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે તેમની 25 વર્ષની અવિરત અને સમર્પિત જનસેવાને બિરદાવવા માટે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે "આશીર્વાદનો દીવો" નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસેવાને જીવનનો પરમ ધ્યેય બનાવનાર વડાપ્રધાન મોદીને સમ્માનિત કરતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
76+76 દીકરીઓ દ્વારા વંદે માતરમનું ગાન
આ ગૌરવવંત સમારોહમાં સમગ્ર ભારતીય નકશા પર અદ્ભુત દીપોત્સવ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 76+76 દીકરીઓએ સ્વમુખે પૂર્ણ વંદે માતરમનું ગાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભક્તિરસથી છલકાતો ભવ્ય લોક ડાયરો અને ભજન સંધ્યા યોજાયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીની પ્રેરણાદાયી જીવનગાથાની પ્રસ્તુતિ અને 'સંકલ્પ - વિકસિત ભારત 2047' જેવા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિના પાવન સંગમસમા અનેકવિધ આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો મહાઆરતીમાં પણ સહભાગી થયા હતા. આ કાર્યક્રમના પ્રારંભે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ ડી.એન. ગોલે શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ તથા ડૉ. હર્ષદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સિવાય કોર્પોરેટરો, દાતાઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા સમગ્ર ટીમ સહિત અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના દિવસ નિમિત્તે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો હતો.
