Ahmedabad News:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીમાં સહભાગી થયા હતા. બંને મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભગવાન જગન્નાથજી પાસે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે બંને મહાનુભાવોએ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે કામના કરી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, મેયર હિતેશ બારોટ, સર્વે ધારાસભ્યો દિનેશસિંહ કુશવાહ, કંચનબેન રાદડિયા, હસમુખ પટેલ તેમજ કૌશિક જૈન, શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સહિત વિશાળ સંખ્યામાં ભક્તો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
