Ahmedabad News: વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL -3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં રમાઈ રહી છે. VPL 3નો શનિવારે સાંજે એકી સાથે 5 શહેરમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 10 હજારથી વધારે લોકો પધાર્યા હતા.

4800 ખેલાડીઓએ ભાગ લીધો
અમદાવાદ ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. જ્યારે રાજકોટમાં વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ તથા ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં વિશ્વ ઉમિયાધામ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર 4800 ખેલાડીઓ ભાગ લેશે. જેના ભાગ રૂપે 320 થી વધુ ક્રિકેટ ટીમ રમી રહી છે.

વિશ્વ ઉમિયાધામના પ્રમુખનું નિવેદન
આ પ્રસંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, VPL -3નું આયોજન ગુજરાતના યુવાનોમાં નવી શક્તિ સંચારનું કાર્ય કરશે. ગામડા કે શહેરમાં રહેતા યુવાનોને વૈશ્વિક સ્તરે પહોંચવાનો મોકો મળશે. VPL -3ની ફાઈનલ મેચ દુબઈના શારજાહામાં રમાશે. જેના કારણે ગુજરાતના ગામડાના યુવાનને ઈન્ટરનેશનલ સ્તરે ક્રિકેટ રમવાનો આનંદ મળશે. આવનાર દિવસોમાં VPL માં રમનાર યુવાનો જ IPLમાં રમે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું.

