Heart Attack Cases in Gujarat: ગુજરાતમાં હૃદયરોગની બીમારી એક ગંભીર પડકાર બનીને ઉભરી રહી છે. વર્ષ 2025ના તાજેતરના આંકડાઓ મુજબ, રાજ્યમાં હૃદયરોગને લગતી ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા 25મી ડિસેમ્બર સુધીના આંકડા મુજબ, આ વર્ષે કુલ 96,789 કેસ નોંધાયા છે, જે ગત વર્ષ 2024ના 84,738 કેસની તુલનાએ 12.46 ટકાનો વધારો દર્શાવે છે.
રોજના 265 કેસ અને વધતું મૃત્યુદર
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, ગત વર્ષે ગુજરાતમાં હૃદયરોગની ઈમરજન્સીના રોજના સરેરાશ 232 કેસ નોંધાતા હતા, જે આ વર્ષે વધીને 265 થયા છે. વધુ આઘાતજનક બાબત એ છે કે વર્ષ 2023માં હૃદયરોગને કારણે રાજ્યમાં કુલ 74,777 લોકોએ જીવ ગુમાવ્યો હતો, એટલે કે સરેરાશ રોજના 204 થી 205 લોકો આ બીમારીનો શિકાર બન્યા છે.
અમદાવાદમાં વધુ કેસ જોવા મળ્યો
શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 26,823 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે. સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં પણ હૃદયરોગના દર્દીઓની સંખ્યા મોટી છે. તબીબોના મતે, અનિયમિત જીવનશૈલી, માનસિક તણાવ, આલ્કોહોલ, સ્મોકિંગ અને ફાસ્ટ ફૂડના સેવનને કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ
હૃદયરોગના વધતા વ્યાપને કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત પણ વધી છે. હાલમાં ગુજરાતમાં અંગદાન દ્વારા હૃદય મેળવવા માટે 117 દર્દીઓ વેઈટિંગ લિસ્ટમાં છે. અંગો મેળવવાના વેઈટિંગ લિસ્ટની બાબતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે, જે સ્થિતિની ગંભીરતા સૂચવે છે.
સાવચેતી અને લક્ષણો
તબીબોએ સલાહ આપી છે કે છાતીમાં ભારેપણું, અચાનક પરસેવો થવો, ધબકારા વધવા, જડબામાં દુખાવો, કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ. પૂરતી ઊંઘ, હળવી કસરત અને તણાવમુક્ત જીવન હૃદયને સ્વસ્થ રાખવા માટે અનિવાર્ય છે.

