Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આગામી ફ્લાવર શોની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ફ્લાવર શોની મુખ્ય થીમ ‘ભારત-એક ગાથા’ રાખવામાં આવી છે. આ મહોત્સવમાં ભારતની ભવ્ય વિરાસતથી લઈને આધુનિક વિકાસ સુધીની સફરને ફૂલોના માધ્યમથી પાંચ અલગ-અલગ ઝોનમાં કંડારવામાં આવશે.
પૌરાણિક અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન
ફ્લાવર શોમાં આ વખતે પૌરાણિક કથાઓને જીવંત કરવા માટે વિશેષ સ્કલ્પચર તૈયાર કરાયા છે.
- સમુદ્ર મંથન: આ શોનું મુખ્ય આકર્ષણ 6 ફૂટ લાંબું અને 20 ફૂટ ઊંચું સમુદ્ર મંથનનું સ્કલ્પચર હશે. જેમાં 7 દેવ અને 7 દાનવ સાથે સમુદ્રના મોજા જેવી અનુભૂતિ કરાવતું સ્ટ્રક્ચર બનાવાયું છે. અહીં મંથનમાંથી નીકળેલા શંખ, કળશ અને ઘોડાની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.
- રામસેતુ: ભગવાન રામની ગાથાને દર્શાવતું રામસેતુનું આકર્ષક સ્કલપ્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
- 20 ફૂડ સ્ટોલ પણ હશે
- 127 જુદી જુદી થીમવાળા સ્કલ્પચર
- 48 પ્રકારના છોડ
- 10 લાખ છોડ
- 1.20 લાખ ચોરસ મીટર ફ્લાવર શોનો વિસ્તાર
- નૃત્યકલા: નૃત્ય ઝોનમાં ગરબા, કુચીપુડી, કઠકલી અને ભાંગડા જેવી ભારતની વૈવિધ્યસભર નૃત્ય શૈલીઓને ફૂલો દ્વારા દર્શાવવામાં આવશે. અહીં ૨૦ ફૂટ ઊંચું ભવ્ય નટરાજનું સ્કલ્પચર પણ આકર્ષણ જમાવશે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો લક્ષ્યાંક
આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું એક વિશાળ પોટ્રેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેની લંબાઈ 40 મીટર અને ઊંચાઈ 12 મીટર હશે. આ પોટ્રેટ વિશ્વસ્તરે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફ્લાવર શોની ઝલક (આંકડામાં)
| વિગત | ક્ષમતા/સંખ્યા |
| કુલ વિસ્તાર | ૧.૨૦ લાખ ચોરસ મીટર |
| કુલ છોડ | ૧૦ લાખ થી વધુ |
| છોડના પ્રકાર | ૪૮ વિવિધ પ્રજાતિઓ |
| સ્કલ્પચર | ૧૨૭ જુદી જુદી થીમ પર આધારિત |
| ફૂડ સ્ટોલ | ૨૦ (મુલાકાતીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા) |
