Celebrate Parsi Heritage-Community Service: અમદાવાદમાં પારસી સમુદાયની સમૃદ્ધ પરંપરાઓ, સાંસ્કૃતિક વારસા અને સમુદાયની સેવાના સન્માનમાં યોજાયેલા બે દિવસીય સ્મૃતિ સમારંભનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. કર્ણાવતી ક્લબના પર્સેપોલિસ પેવેલિયન ખાતે આયોજિત આ સમારંભમાં ધાર્મિક અગ્રણીઓ, સમુદાયના દિગ્ગજો, મહાનુભાવો અને નાગરિકોએ વારસા અને સેવાની અસાધારણ ઉજવણીમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું રસના ફાઉન્ડેશન અને રસના ગ્રુપના CSR એકમ અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના સહયોગથી રસના ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે પારસી ભવ્યતા અને સન્માનનો સમારંભ યોજાયો હતો, જ્યાં પારસી ધર્મગુરૂઓ અને વિદ્વાનો, જેમણે દાયકાઓથી સમુદાયના આધ્યાત્મિક માર્ગદર્શન અને સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેમને એક કલાકના ગૌરવપૂર્ણ સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માન પ્રાપ્ત કરનારા મહાનુભાવોમાં વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, ઈરાનશાહ આતશ બહેરામ, ઉદવાડાના હાઇ પ્રિસ્ટ (મુખ્ય ધર્મગુરૂ), વડા દસ્તુરજી તેહેમતોન મિર્ઝા, ઈરાનશાહ આતશ બહેરામ, ઉદવાડાના હાઇ પ્રિસ્ટ, અને વડા દસ્તુરજી સાયરસ દસ્તુર, સુરતના ડી.એન. આતશ બહેરામના હાઇ પ્રિસ્ટ સમાવિષ્ટ હતા. ભારતભરના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ, દાનવીરો, કાનૂની નિષ્ણાંતો, ડોકટરો અને જાહેર જીવનની અન્ય અગ્રણી હસ્તીઓ પણ આ સમારંભમાં હાજર રહી હતી. સમારંભનું સમાપન પારસી નાટકો, સંગીત અને હાસ્ય સહિતના એક જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું, જેનું નેતૃત્વ પ્રખ્યાત હાસ્ય કલાકાર સાયરસ ભરૂચાએ કર્યું હતું. સાથે સાથે નાટક “એઆઈ – આર્ટિફિશિયલ ઇરાની” નું સ્પેશિયલ પર્ફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે એટલા જ પ્રભાવશાળી સમારંભમાં ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટની ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહેલા આગામી પ્રોજેક્ટ, અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડેલનું અનાવરણ એક મુખ્ય આકર્ષણ હતું. આ દિવસે સમાજમાં તેમના અસાધારણ યોગદાન બદલ ભારતભરના દસ પ્રતિષ્ઠિત મહાનુભાવોને પારસી રત્ન પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
- નાદિર ગોદરેજ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને જાણીતા દાનવીર
- દિનશૉ તંબોલી, ચેરમેન, વર્લ્ડ ઝોરોસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન (WZO) ટ્રસ્ટ ફંડ્સ
- બ્રિગેડિયર (નિવૃત્ત) જહાંગીર અંકલેસરિયા, પ્રમુખ, અમદાવાદ પારસી પંચાયત (APP)
- ફિરોઝ ખંભાતા, જાણીતા દાનવીર અને પર્યાવરણવાદી
- અનાહિતા દેસાઈ, ટ્રસ્ટી, વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોષ્ટિસ (WAPIZ)
- પર્સી માસ્ટર, ગ્લોબલ પ્રેસિડેન્ટ, વર્લ્ડ જરથોષ્ટિ ચેમ્બર ઓફ કોમર્સ (WZCC)
- દિનશૉ મહેતા, ભૂતપૂર્વ પ્રમુખ, બોમ્બે પારસી પંચાયત (BPP)
- મેહર મેડોરા, સ્થાપક, ઉષ્ટા-તે ફાઉન્ડેશન
- કેટી દારુવાલા, સિનિયર ટ્રસ્ટી, અમદાવાદ પારસી પંચાયત
- શિરીન કાંગા, જાણીતા શિક્ષણશાસ્ત્રી
