Passport Fees Hike: જો તમે પોતાનો અથવા તમારા બાળકનો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. વિદેશ મંત્રાલયે 17 સપ્ટેમ્બર 2026ના રોજ બાળકોના પાસપોર્ટની વેલિડિટી અંગે નવો નિયમ જાહેર કર્યો છે. બીજી તરફ, પાસપોર્ટની ફીમાં થયેલો વધારો 1 જુલાઈ 2026થી પહેલેથી જ લાગુ થઈ ચૂક્યો છે. એટલે હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે નવા નિયમો અને નવી ફી બંનેની જાણકારી રાખવી જરૂરી છે.
બાળકોના પાસપોર્ટની વેલિડિટી હવે કેટલી રહેશે?
નવા નિયમ મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને આપવામાં આવતો 36 પેજનો સામાન્ય પાસપોર્ટ હવે પાસપોર્ટ ઈશ્યૂ થયાની તારીખથી 5 વર્ષ સુધી અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી, બંનેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી માન્ય રહેશે. આ ફેરફાર Passports (Amendment) Rules, 2026 હેઠળ કરવામાં આવ્યો છે અને 17 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવ્યો છે. અર્થાત્, જો બાળકની ઉંમર 15 વર્ષથી ઓછી છે અને તેનો પાસપોર્ટ બનાવવામાં આવે છે, તો તેની વેલિડિટી પાંચ વર્ષની રહેશે, પરંતુ બાળક આ સમયગાળા દરમિયાન 18 વર્ષનું થઈ જાય તો પાસપોર્ટની વેલિડિટી ત્યાં સુધી જ રહેશે.
પાસપોર્ટની ફીમાં કેટલો વધારો થયો?
પાસપોર્ટની ફીમાં વધારો 1 જુલાઈ 2026થી લાગુ કરવામાં આવ્યો છે. Passport Sevaની સત્તાવાર ફી સ્ટ્રક્ચર મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે 36 પેજના સામાન્ય પાસપોર્ટની ફી હવે ₹2,500 છે, જે અગાઉ ₹1,500 હતી. 60 પેજના પાસપોર્ટની ફી ₹2,000થી વધીને ₹3,500 થઈ છે. જો વાત તત્કાલ પાસપોર્ટની કરીએ તો 36 પેજના પાસપોર્ટ માટે હવે કુલ ફી ₹5,000 છે, જ્યારે અગાઉ ₹3,500 હતી. 60 પેજના તત્કાલ પાસપોર્ટ માટે હવે ₹6,000 ચૂકવવા પડશે, જે અગાઉ ₹4,000 હતા.
બાળકો માટે પણ પાસપોર્ટ ફીમાં વધારો થયો છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકના 36 પેજના સામાન્ય પાસપોર્ટ માટે હવે ₹1,750 ફી છે, જે અગાઉ ₹1,000 હતી. તત્કાલ કેટેગરીમાં આ ફી ₹4,250 છે.
આ ઉપરાંત ખોવાઈ ગયેલા, નુકસાન પામેલા અથવા ચોરાયેલા પાસપોર્ટના રિપ્લેસમેન્ટ માટે પણ અલગ ફી નક્કી કરવામાં આવી છે. 36 પેજના 5 વર્ષના રિપ્લેસમેન્ટ પાસપોર્ટ માટે ₹4,250 અને 10 વર્ષના રિપ્લેસમેન્ટ માટે ₹5,000 ફી છે, જ્યારે 60 પેજના રિપ્લેસમેન્ટ પાસપોર્ટ માટે ₹6,000 ફી નક્કી કરવામાં આવી છે.
પાસપોર્ટ માટે અરજી કરતા પહેલાં નવી ફી તપાસવી જરૂરી છે. ખાસ વાત એ છે કે 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને નવી અરજી પર 10 ટકા ડિસ્કાઉન્ટની જોગવાઈ ચાલુ છે. આ છૂટ રિ-ઈશ્યૂ એટલે કે ફરીથી પાસપોર્ટ બનાવવાની અરજી પર લાગુ પડતી નથી.
