UPI SIP MDR Charge: 15 ઓક્ટોબરથી UPI દ્વારા કરવામાં આવતી તમામ SIP અને મ્યુચ્યુઅલ ફંડ ચુકવણીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવામા આવશે. જોકે, આ નિર્ણયથી સામાન્ય રોકાણકારોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વધારાનો ખર્ચ રોકાણકારોએ પોતે ચૂકવવાનો રહેશે નહીં, પરંતુ જે-તે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દ્વારા ભોગવવામાં આવશે.
MDR ચાર્જ શું છે અને મ્યુચ્યુઅલ ફંડ માટે દર કેટલો નક્કી કરાયો?
નવા નિયમો અનુસાર, ₹2,000 સુધીની સામાન્ય વ્યવહારીક UPI ચુકવણીઓ પર કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા વ્યવહારો માટે ખાસ દર નક્કી કરવામાં આવ્યા છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ પોતાના FAQs માં સ્પષ્ટતા કરી છે કે, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક બ્રોકર્સ અને સિક્યોરિટીઝ ડીલરોને કરવામાં આવતી ચુકવણીઓ પર વ્યવહારના મૂલ્યના 0.02% લેખે MDR ચાર્જ લાગશે. અને વ્યવહાર ગમે તેટલો મોટો હોય, પણ MDR ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે.
NPCI ના જણાવ્યા અનુસાર, ઔપચારિક નાણાકીય બજારોમાં છૂટક રોકાણકારોની ભાગીદારી પ્રોત્સાહિત થાય તે હેતુથી આ ફી સામાન્ય વ્યાવસાયિક દરો કરતાં ઓછી રાખવામાં આવી છે.
કયા-કયા વ્યવહારોને લાગુ પડશે આ નિયમ?
MDR નો આ ચોક્કસ દર SEBI હેઠળ નોંધાયેલી તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, સ્ટોકબ્રોકર્સ, સિક્યોરિટીઝ ડીલરો અને ડિજિટલ રોકાણ પ્લેટફોર્મ્સને સ્પષ્ટપણે લાગુ પડશે.
આ નિયમ નીચે મુજબના વ્યવહારો માટે UPI થી થતા ટ્રાન્સફર પર લાગુ થશે:
- 1. શેરબજારમાંથી ઇક્વિટી (શેર) ખરીદવા.
- 2. ડેટ માર્કેટમાં રોકાણ કરવા.
- 3. મ્યુચ્યુઅલ ફંડ કે SIP માટે ચુકવણી કરવી.
- 4. બ્રોકર વૉલેટમાં ફંડ ઉમેરવું (ટોપ-અપ કરવું).
આ શ્રેણીને અલગ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મૂડી બજારના ટ્રાન્સફરને રોજિંદી છૂટક ખરીદી કે સામાન્ય સેવા ચુકવણીઓથી અલગ ગણી શકાય.
રોકાણકારો માટે મુખ્ય તારણ
જો તમે દર મહિને UPI દ્વારા SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા બેંક એકાઉન્ટમાંથી કોઈ વધારાની રકમ કપાશે નહીં. નિયમ મુજબ MDR ચાર્જની ચુકવણી સેવા પ્રદાતા એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કે બ્રોકરેજ કંપનીઓએ કરવાની રહેશે. આથી રોકાણકારો તેમના રોકાણ અવિરતપણે ચાલુ રાખી શકે છે.
નોંધ: મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
