Durga Ashtami 2026 Date and Time: હિન્દુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ શારદીય નવરાત્રીનું વિશેષ સ્થાન છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન ભક્તો પૂરી શ્રદ્ધા સાથે માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. આ નવ દિવસીય ઉત્સવમાં આઠમા નોરતાનું એટલે કે 'દુર્ગા અષ્ટમી' (મહાઅષ્ટમી) નું અનેરું મહત્વ રહેલું છે. વર્ષ 2026 માં શારદીય નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમી કઈ તારીખે ઉજવવામાં આવશે અને તેના પૂજા-વિધિના નિયમો શું છે, તે વિશે વિગતવાર જાણો.
મહાઅષ્ટમી 2026 તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, આસો સુદ અષ્ટમી તિથિના દિવસે મહાઅષ્ટમી એટલે કે દુર્ગા અષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026માં અષ્ટમી તિથિનો પ્રારંભ 18 ઓક્ટોબરના રોજ સવારે 8:27 વાગ્યે થશે અને તેની પૂર્ણાહુતિ 19 ઓક્ટોબરના રોજ સવારે 10:51 વાગ્યે થશે. હિંદુ ધર્મમાં વ્રત અને તહેવારોની ઉજવણી માટે ઉદયાતિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ નિયમ અનુસાર, શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી 19 ઓક્ટોબર 2026, સોમવારના રોજ મનાવવામાં આવશે.
માતા મહાગૌરીની પૂજા અને કન્યા પૂજનનો મહિમા
નવરાત્રીનો આઠમો દિવસ દેવી મહાગૌરીને સમર્પિત છે. શાસ્ત્રો મુજબ, માતાજીનું આ સ્વરૂપ અત્યંત ગોરા વર્ણનું છે અને તેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. તેમની 4 ભુજાઓ છે અને તેઓ વૃષભ (બળદ) પર સવારી કરે છે.
આ દિવસે માતાજીએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો. આથી મહાઅષ્ટમીના દિવસે 16 ઉપચારો (ષોડશોપચાર વિધિ) થી પૂજા કરવાથી ભક્તોને ભય અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
દુર્ગા અષ્ટમીના દિવસે નાની ઉંમરની અવિવાહિત કન્યાઓને દેવી દુર્ગાનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. મા મહાગૌરીને 'અન્નપૂર્ણા' પણ કહેવામાં આવે છે.
એવી માન્યતા છે કે અષ્ટમીના દિવસે બાળકીઓને જમાડીને તેમને ભેટ આપવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત સર્જાતી નથી અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
સંધિ પૂજા અને વિશેષ અનુષ્ઠાન
મહાષ્ટમીને 'મહા દુર્ગાષ્ટમી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દુર્ગા પૂજાના બીજા દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે 9 નાના કળશ સ્થાપિત કરીને તેમાં દેવી દુર્ગાની 9 શક્તિઓનું આહ્વાન કરવામાં આવે છે. અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, કારણ કે તે માત્ર મહાસપ્તમીના દિવસે જ થાય છે.
દુર્ગા પૂજા દરમિયાન સંધિ કાળને સૌથી શુભ સમય માનવામાં આવે છે. અષ્ટમી તિથિની અંતિમ 24 મિનિટ અને નવમી તિથિની શરૂઆતની પ્રથમ 24 મિનિટના સમયગાળાને 'સંધિ કાળ' કહેવામાં આવે છે. આ સમયગાળામાં કરવામાં આવતી 'સંધિ પૂજા' અત્યંત ફળદાયી અને મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે.
